સ્પીકર ઓમ બિરલાએ દીપેન્દ્ર હુડ્ડાને ખખડાવ્યા: સાંસદને કહ્યું- મારે કઈ બાબતે વાંધો વ્યક્ત કરવો અને કઈ બાબતે ન કરવો એની સલાહ ન આપો, બેસી જાવ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27062024_134118_Speaker Om Birla.webp)
- 27 Jun, 2024
લોકસભા ચૂંટણી પછી હાલ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. સંસદના પ્રથમ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પછી એક પ્રસંગ આવ્યો કે જ્યારે સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડા પર ગુસ્સે થયા હતા. સ્પીકર ઓમ બિરલાએ દીપેન્દ્ર હુડ્ડાને ઠપકો આપ્યો હતો. જોકે આ ઘટના ત્યારે બની જ્યારે, કેરળની તિરુવનંતપુરમ લોકસભા સીટથી કોંગ્રેસના સાંસદ શશિ થરુર સાંસદના રૂપમાં શપથ ગ્રહણ કર્યા પછી પોતાના સ્થાને પરત ફરી રહ્યાં હતા. શશિ થરુરે શપથ લીધા પછી જય બંધારણના નારા લગાવ્યા હતા.
સંસદ સત્રના ચોથા દિવસે કોંગ્રેસના સાંસદ શશિ થરુરે સંસદ સભ્યના રૂપમાં શપથ લીધા પછી બંધારણના નારા લગાવ્યા હતા. શપથ ગ્રહણ કર્યા પછી શશિ થરુર સ્પીકર ઓમ બિરલા સાથે હાલ મિલાવીને પોતાની સીટ પર પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન સ્પીકરે તેમને ટોક્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે બંધારણના શપથ તો લઈ રહ્યાં છો. આ બંધારણના શપથ છે. સ્પીકરની આ વાત પર કોંગ્રેસના જ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પોતાની જગ્યાએ ઉભા થયા અને કહ્યું કે આ બાબતે તમને વાંધો ન હોવો જોઈએ સર.
સ્પીકર ઓમ બિરલાએ આ અંગે દીપેન્દ્ર હુડ્ડાની ઝાટકણી કાઢતા કહ્યું કે મને કઈ બાબતે વાંધો હોવો જોઈએ અને કઈ બાબતે ન હોવો જોઈએ તે અંગે સલાહ ન આપો. બેસી જાવ. આ અંગે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખીને વાંધો વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ભારતની સંસદમાં જય બંધારણ ન બોલી શકાય? તેમણે સ્પીકરના વાંધા પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે સંસદમાં સત્તા પક્ષના લોકોને અસંસદીય અને અસંવૈધાનિક નારા લગાવવાથી ન રોકી શકાયા. પરંતુ વિપક્ષી સાંસદના જય બંધારણ બોલવા પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધી કઈં આટલે અટક્યા નહોતા. તેમણે આગળ લખ્યું કે બંધારણનો વિરોધ હવે નવા રૂપમાં સામે આવ્યો છે. જે આપણા બંધારણને નબળું બનાવવા માંગે છે. પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે જે બંધારણથી સંસદ ચાલે છે, જે બંધારણના દરેક સભ્ય શપથ લે છે, જે બંધારણથી દરેક નાગરિકને જીવનની સુરક્ષા મળે છે, શું હવે વિપક્ષનો અવાજ દબાવવા માટે આ જ બંધારણનો વિરોધ કરવામાં આવશે?
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આ અંગે એક્સ પર પોસ્ટ કરીને સ્પીકરને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તાએ પોસ્ટ કરીને કહ્યું છે હવે સ્પીકર મહોદયને સંસદમાં જય બંધારણ કહેવા પર પણ વાંધો છે. ગજબ વાત છે- જે બંધારણથી તેમણે સંસદ ચલાવવાની છે, તેની જ જય બોલાવવા પર વાંધો છે. સુપ્રિયાએ ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું તમે 41,974 અને દીપેન્દ્ર હુડ્ડા 3,45,298 વોટથી જીતીને આવ્યા છે.